નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસના કેસિસનો આંકડો ૧૮૯૮૫ જેટલો નોંધાયો છે અને આ મહામારીથી દેશમાં ૬૦૩ મોત થયાના અહેવાલ ૨૧મી એપ્રિલે હતા. આ બીમારીમાંથી જોકે દેશમાં ૩૨૬૦ લોકો સાજા પણ થયાના અહેવાલ પ્રગટ થયાં છે ત્યારે આ રોગ માટે સૌથી મોટું તારણ એ બહાર આવ્યું છે કે અમદાવાદ અને દિલ્હી સહિતના શહેરોમાં અને દેશમાં કેટલાય એવા કેસ છે કે જેમાં દર્દી કોરોના સંક્રમિત હોય તે છતાં બીમારીનાં કોઇ લક્ષણો તેનામાં નોંધાયા ન હોય. રવિવારે દિલ્હી અને મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાનોએ પણ આ અંગે આશંકા વ્યક્ત કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું હતું કે શનિવારે કુલ ૭૩૬ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી ૧૮૬ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ એવા લોકો હતા જેમનામાં કોરોનાના કોઇ જ લક્ષણો નહોતા. દિલ્હી અને મહારાષ્ટ્રે આ ચિંતા વ્યક્ત કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે દેશમાં ૮૦ ટકા કેસ એવા છે કે જેમાં ચેપ લાગ્યો હોય તે વ્યક્તિમાં કોઇ જ બીમારીના લક્ષણો સામે આવ્યા નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં એવા વ્યક્તિઓને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે જેઓની રોગ પ્રતિકારક શક્તિ અન્ય કરતા વધુ મજબુત હોય છે જેથી જ્યારે તેનામાં કોરોના વાઇરસનો પ્રવેશ થાય છે ત્યારે તેનું શરીર સામાન્ય સ્થિતિમાં જ રહે છે અને તેને ઘણા સમય સુધી કોઇ બીમારી નથી થતી, જેને પગલે અનેક વ્યક્તિઓ એવા પણ છે કે જેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તો પણ તેને લક્ષણો દેખાતાં જ નથી જેથી ખ્યાલ નથી આવતો કે તે કોરોના સંક્રમિત છે. આ પ્રકારની પરિસ્થિતિ બહુ જ જોખમકારક પણ માનવામાં આવે છે કેમ કે તેનાથી કોરોનાના દર્દીઓની ચકાસણી કરવામાં પણ એક અડચણ આવી શકે છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડોક્ટર રમણ આર ગંગાખેડકરે જણાવ્યું હતું કે હાલ ભારતમાં ૮૦ ટકા કેસો એવા છે કે જેમાં કોરોના વાઇરસનો શરીરમાં પ્રવેશ તો થયો હોય છે, પણ વ્યક્તિમાં લક્ષણો નથી દેખાતા. આ પ્રકારના કેસોને તપાસવા હોય તો ઘરે ઘરે જઇને રિપોર્ટ કરવો પડે અને ભારત જેવા ૧૩૦ કરોડની વસતી ધરાવતા દેશમાં આ અશક્ય માનવામાં આવે છે. અન્ય એક ભય એ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોય અને તેનામાં રોગના કોઇ જ લક્ષણ ન જણાય તો આવી સ્થિતિમાં તેનું શરીર સામાન્ય રહેશે પણ ખતરો એ છે કે આવી વ્યક્તિ અન્ય અનેક વ્યક્તિના સંપર્કમાં આવી જશે અને તેનાથી વાઇરસ વધુ ફેલાવાની શક્યતાઓ છે.
ગોવા પછી મણિપુર પણ કોરોના ફ્રી
ભારતમાં ગોવા પછી મણિપુરને પણ કોરોના ફ્રી રાજ્ય જાહેર કરાયું છે. મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે ટ્વિટ દ્વારા આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે મણિપુરમાં કુલ બે કેસ નોંધાયા હતા. એ બંને દર્દીઓ સાજા થઈ જતાં અત્યારે રાજ્ય સંપૂર્ણપણે કોરોનામુક્ત છે. રાજ્યમાં એક કેસ ૨૩ વર્ષની મહિલાનો હતો જે યુકેથી પરત ફરી હતી. બીજો કેસ તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા ૬૫ વર્ષીય માણસનો હતો.
મુસ્લિમોને જવાબદાર ઠેરવાતાં ખાડીના દેશો નારાજ
કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે તેવી ટ્વિટ કરતાં વડા પ્રધાન મોદીએ તાજેતરમાં લખ્યું હતું કે, કોરોના હુમલો કરતા પહેલાં જાતિ, ધર્મ, રંગ, ભાષા કે સરહદ જોતો નથી. તેથી આપણે આ મહામારીનો સામનો કરવા એક થઇને લડવું પડશે. ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે. સઉદી સહિતના દેશોના દબાણ પછી ખાડી દેશો સાથે સંબધો વધુ બગડે નહીં તે માટે મોદીને અંતે એકતા અને ભાઇચારાની ટ્વિટ કરવાની ફરજ પડી હોવાનું અનુમાન છે.